અશૌચ નિર્ણય

અશૌચ નિર્ણય

અશૌચ (સૂતક) વિશેની માહિતી

શૌચ સામાન્ય રીતે બે પ્રકારે જોવા મળે. જનનાશૌચ (વૃધ્ધિ-સૂતક) જેને સૂતક કહેવાય અને મૃતાશૌચ (મૃત સૂતક) જેને પાતક કહેવાય.

સૂતક કે પાતકની ગણતરી જન્મ/મૃત્યુનાં સમયથી કરવી. ફક્ત અગ્નિહોત્રી બ્રાહ્મણનાં મૃત્યુમાં અગ્નિસંસ્કારનાં દિવસથી ગણતરી થાય છે. અન્યમાં નહિ.

અશૌચના અધિકારી : બ્રાહ્મણ,ક્ષત્રીય,વૈશ્યને શુદ્રમાં પ્રથમના ત્રણ વર્ણમાંનો કોઈ પુરૂષ જનોઈ લીધા પછી બ્રહ્મચારી ન રહે તો ત્યારથી, ને શુદ્ર પરણ્યા પછી કિંવા સોળ વર્ષના વય પછી સૂતકનો અધિકારી થાય છે. બ્રહ્મચારી જો પોતાના માતાપિતાનું અગ્નિ સંસ્કારાદિ અંત્યકર્મ કરે તો તેને પાતક લાગે છે. અન્યથા લાગતું નથી. જનોઈ દીધા વિનાનો બાળક પણ જો પોતાનાં માં-બાપની ઉતરક્રિયા કરે તો તેને પણ પાતક લાગે છે. અન્યથા લાગતું નથી.

મૂલપુરૂષથી આરંભી, સાતમાં પુરૂષ સુધીનાં વંશજોને સપિંડ જાણવા. આઠથી ચૌદમી પેઢી લગીનાને સોદક,ને પંદરથી એકવીસમી પેઢી લગીનાને સગોત્ર સમજવાં.

અશૌચમાં શું ન કરાય : સંધ્યા,દાન,જપ,હોમ,સ્વાધ્યાય,પિતૃતર્પણ,બ્રાહ્મણ ભોજન તેમજ વ્રતાદિ ન કરવા.

  • સંધ્યા કર્મ નિત્યકર્મ હોવાથી વિશેષ પ્ર્કારેથી કરી શકાય.
  • મંદિરમાં ન જવાય,તેમજ દેવતાઓની પૂજા કે સ્પર્શ ન કરાય.
  • કોઈને ન પ્રણામ કરાય કે ન આશીર્વાદ દેવાય.
  • જો ઘરમાં પ્રતિષ્ઠિત દેવી-દેવતાઓ હોય તો તેની પૂજા-વિધાન બ્રાહ્મણ દ્વારા કે અસગોત્રી સંબંધી દ્વારા અથવા મંદિરમાં મોકલાવી કરાવી શકાય.
  • બીજાનું ભોજન ન કરવું કે ન કરાવવું.
  • સુવાડું ઉતરાવવાને બાદ કરતાં સાજ સજા કે તેલલેપન,પગ દબાવવા,તેમજ ક્ષીર કર્મ ન કરવું.

અશૌચ ક્યા પદાર્થને ન લાગે : ફૂલ,ફળ,મૂલ,મીઠું,મધ,શાક,ઘાસ,કાષ્ઠ,જલ,દૂધ,દહીં,ઘી,ઔષધ,તલ,શેરડી.સાકર,ખાંડ,ગોળ,પૌઆ આદિ ભૂંજેલા અન્ન અને લાડુ ઇત્યાદિ પદાર્થ જેની ઉપર અશૌચીનું સ્વામિત્વ હોય,તથા અશૌચીના ઘરમાં રહેલા હોય, છતાં તે ગ્રહણ કરવામાં દોષ નથી, પણ તેમાંથી કોઇપણ વસ્તુ અશૌચીના હાથથી ગ્રહણ કરવી નહિ. બજારમાં તો વ્યાપારીને અશૌચ હોય તો પણ તેના હાથથી લવણાદિક અને કાચું અન્ન વેચાતાં લેવામાં દોષ નથી, પણ જલ,દહીંને પૌઆ ઇત્યાદિ પદાર્થ તેના હાથથી વેચાતા લેવા નહિ.

ઊંટડીનું દૂધ,ડાબલાવાળા પશુઓનું દૂધ,સ્ત્રીનું દૂધ,અરણ્યના પશુઓનું દૂધ,ગાડરનું દૂધ,વાછડો કે વાછડી મરી ગયાથી શોક કરતી ગાયનું દૂધ,ને જેને વિયાયા ને દશ દિવસ થયા નથી એવી ગાયનું તથા ભેંસનું દૂધ (બરાઈ) દ્વિજે ઉપયોગમાં ન લેવું.

  • વિવાહ વગેરે ઉત્સવ આરંભ થતા પહેલા સ્વગોત્રમાં જન્મમરણાદિ અશૌચ આવે તો જે તે ઉત્સવને સાંગોપાંગ પૂર્ણ કરવો જોઈએ, ઉત્સવ દરમ્યાન અન્યને અપાતુ ભોજન અસગોત્રી દ્વારા બનાવડાવી પીરસાવવું. સ્પર્શ ન કરવો. ઉત્સવનો આરંભ સામાન્ય રીતે યજ્ઞમાં ૨૧ દિવસ પહેલા, વિવાહમાં ૧૦ દિવસમાં પહેલા, ચુડાકરણ અને યજ્ઞોપવિતમાં ૩ દિવસ પહેલા મનાઈ છે.

એક પરંપરા અનુસારે નાંદિશ્રાધ્ધ થયા પછી અશૌચ જે તે કાર્યનાં પ્રમુખ અધિકારીને લાગતુ નથી. એ પ્રકારે ઉપરોક્ત દિવસોના પ્રારંભે પણ નાંદિશ્રાધ્ધ કરી શકાય.

વિવાહ-ઉપનયનમાં કે ચુડાકરણમાં માતા રજસ્વલા થતાં કે પછી વિવાહમાં કન્યા રજસ્વલા થતાં ચાર દિવસનો અશૌચકાળ ગયા પછી જ કાર્ય કરવું જોઈએ. જો કે આ બાબતમાં ધર્મશાસ્ત્રમાં ઘણા પરિહારો પણ બતાવેલા છે.

સ્ત્રીના રજસ્વલાનો નિર્ણય કે પછી જનનાશૌચ કે મરણાશૌચનાં નિર્ણયનાં દિવસની ગણતરી સમાન જાણવી,જેમકે દિવસનાં અશૌચ આવી પડે તો જે તે દિવસથી ગણતરી કરવી પરંતુ જો રાત્રે અશૌચ આવે તો રાશિનાં ત્રણ ભાગ કરી પ્રથમ બે ભાગમાં અશૌચ આવે તો ગયેલો દિવસ અને ત્રીજા ભાગમાં અશૌચ આવે તો આવનારો દિવસ એટલે કે ઉગતા દિવસને પ્રથમ ગણવો.

  • અતિ આવશ્યકતાએ રજસ્વાલાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો લક્ષ્મીજીની પૂજા કરી કાર્ય કરવું, વિવાહમાં કન્યા રજસ્વલા થાય તો અન્ય પવિત્ર સ્ત્રીનાં વસ્ત્રો પહેરાવડાવી મેઘ્યાહુતી કરવી કાર્ય સંપન્ન કરવું અને જનનાશૌચમાં માંગલિક કાર્ય કરવાની ફરજ પડે તો કુષ્માંણ્ડીધૃત હોમ કરી કાર્ય સંપન્ન કરવું.

માંગલિક કર્મ દરમ્યાન શું કરવું શું ન કરવું : માંગલિક કાર્ય દરમ્યાન અમુક કર્મ ન કરવા, અહીં કુળનો અર્થ ત્રણ કે ચાર પેઢીના સભ્યો અને માંગલિક કાર્યની અવધિ તેના પ્રારંભથી સમાપ્તિ સુધીની સમજવી જેમકે યજ્ઞની બાબતમાં મુહૂર્ત/તિથિ નક્કી કર્યાનાં જે તે મુહૂર્તથી ૨૧ દિવસ પહેલા પ્રારંભ અને મંડપોત્થાપન સુધી આમ ગણવું. જેમાં વેદાધ્યયન, ઠંડા પાણીથી સ્નાન, વિદેશગમન, નદી કે સમુદ્ર ને ઓળંગવા, નિત્યશ્રાધ્ધ, દર્શ શ્રાધ્ધ કે ક્ષયશ્રાધ્ધ ન કરવા.

માંગલિક કાર્ય થયા પછી પણ અમુક સમય સુધી શ્રાધ્ધ વગેરે ન કરવા જેમ કે વિવાહ પછી એક વર્ષ, યજ્ઞોપવિત પછી છ માસ, ચુડાકરણ પછી ત્રણ માસ, તલયુક્ત જળથી તર્પણ અને પિંડ સહિત શ્રાધ્ધ ન કરવું, આમ છતાં માતા-પિતાનું ક્ષયતિથિનું શ્રાધ્ધ, મહાલય શ્રાધ્ધ અને ગયાજી શ્રાધ્ધ કરી શકાય છે.

માતા-પિતાની ક્ષયતિથિનું શ્રાધ્ધ, મહાલયપર્વનું શ્રાધ્ધ તથા નિત્ય શ્રાધ્ધ જે તે વ્યક્તિ કરે તે તે વ્યક્તિનાં માટે જે તે દિવસ શુભ ન જાણવો. અર્થાત તે દિવસને માંગલિક કાર્યમાં ઉપયોગ ન કરવો.

વિવાહ નિશ્ચય થઈ ગયા પછી વર કે કન્યાનાં પિતાનું મૃત્યુ થાય તો એક વર્ષ પછી, માતાનું મૃત્યુ થતાં છ માસ પછી, ભાઈનું મૃત્યુ થતા દોઢ માસ પછી, પત્નીનું મૃત્યુ થતા ત્રણ માસ પછી, પુત્રનાં મૃત્યુ પછી દોઢ માસ પછી તેમજ કુળમાં અન્ય કોઈનું મૃત્યુ થતાં ૨૩ દિવસ પછી વિનાયક શાંતિ કરી માંગલિક કાર્ય કરવું.

રાજકીય ભય હોય, જે તે માંગલિક કાર્યના સંદર્ભમાં ઉંમર વ્યતિત થતી હોય, પોતાનાં કુળમાં અશૌચનો ભય હોય, કુળમાં કોઈ લાંબા રોગથી પીડાતી વ્યક્તિનું મરણ થતા, પરિવારમાં કોઈ એવી વ્યક્તિ કે જે વિરક્ત કે સન્યાસી હોય અને તેનું મૃત્યુ થયું હોય,પરિવારમાં એવી વ્યક્તિનું મૃત્યુ કે જેણે ઘરનો ત્યાગ કર્યો હોય અથવા વર્ષોથી જેને પરિવારની સાથે કોઈ સંબંધ ન હોય આવી પરિસ્થિતિમાં અશૌચ સંબંધી શુધ્ધિકરણની જરૂર રહેતી નથી.

રજસ્વલાનાં સંબંધમાં સામાન્ય રીતે ૨૮ દિવસે માસિકધર્મ આવે છે. આમ છતાં ક્યારેક તાવ કે શરીરમાં થતાં હોર્મોન્સના ફેરફાર થાય ત્યારે જો ૧૭ દિવસ સુધીમાં રજોદર્શન થાય તો સ્નાન માત્રથી શુધ્ધિ જણાવી,૧૮ માં દિવસે એક દિવસ,૧૯માં દિવસે ૨ દિવસ અને ૨૦માં દિવસે કે તેના પછી રજોદર્શન થાય તો ત્રણ દિવસ અશૌચનો નિયમ પાળવો.

બ્રાહ્મણને ૧૦ દિવસનું, ક્ષત્રિયને ૧૨ દિવસનું, વૈશ્યને ૧૫ દિવસનું, ને શુદ્ર ને (મરનાર પરણેલ હોય તો) ૧ માસનું અશૌચ લાગે : સોદક ને ૩ રાત્રિનું અશૌચ,ને સગોત્રને માત્ર સ્નાન જ લાગે. લોક વ્યવહારની સિધ્ધિ માટે પૂર્વોક્ત મરણમાં સર્વ વર્ણના સર્વસપિંડને સમાન ૧૦ દિવસનું અશૌચ લાગે એવો પણ પક્ષ છે. તોપણ લોક વ્યવહાર વિના નિત્ય કર્માદિમાં તેનો ઉપયોગ નહિ કરતા પોતાના વર્ણાનુસારનું અશૌચ પુરૂ થયા પછી નિત્યકર્મમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય છે એમ જણાય છે.

ગર્ભસ્ત્રાવ થાય તો : પ્રથમ ત્રણ મહિનામાં ૩ દિવસ તથા ચોથા મહિનામાં ૪ દિવસ જનના શૌચ ફક્ત માતા ને લાગે, જયારે પિત્રાદિ બધા જ સપિંડોને સ્નાન માત્રથી શુધ્ધિ જણાવી.

જો ગર્ભપાત થાય તો : પાંચમાં મહિને ૫ દિવસ અને છઠ્ઠા મહિને છ દિવસ ફક્ત માતાને જનનાશૌચ અને પિત્રાદિ બધા જ સપિંડો ને ત્રણ દિવસનું જનનાશૌચ પાળવું.

જો પ્રસવ થાય તો : સાતમાં મહિનાથી સંપૂર્ણ ૧૦ દિવસ બધાને જનના શૌચ, અહિં એ નોંધનીય છે કે જનનાશૌચમાં અતિક્રાન્તાશૌચમાં આવી શકે નહિ.

જો બાળક મૃત અવતરે તો : લાગુ પડતા બધાને ૧૦ દિવસ જનનાશૌચ પાળવું: મૃતાશૌચ નહિ.

જો નાળ છેદન કર્યા પહેલા : નાળછેદન કર્યા પહેલા બાળક મરણ પામે તો માતાને ૧૦ દિવસનું અને પિતા આદિક સપિંડોને ત્રણ રાત્રિનું માત્ર વૃધ્ધિશૌચ લાગે, ને નાળછેદન કર્યા પછી જો બાળક મરે તો સપિંડોને દશ દિવસનું વૃધ્ધિશૌચ લાગે.

નાળછેદન કર્યા પહેલા જાતકર્મસંસ્કારમાં તથા દાનમાં પિતાને અધિકાર છે. એ રીતે તેને પાંચમે,છઠ્ઠે અને દશમે દિવસે દાનમાં તથા જન્મદા ઇત્યાદિ દેવતાના પૂજન વિષે અધિકાર છે. તે દિવસે બ્રાહ્મણોને દાન લેવામાં દોષ નથી.

જો પિતાનાં ઘરે સુવાવડ આવે તો : જો કન્યાને માવતર પ્રત્યક્ષ/પરોક્ષ સુવાવડ આવે તો અને કન્યાના પિતાની જવાબદારી હોય તો માતા-પિતાને એક દિવસનું જનનાંશૌચ પાળવું.

સુવાવડી (સુતિકા) ની શુદ્ધિ : જો પુત્ર જન્મે તો ૩૦ દિવસ અને કન્યા જન્મે તો ૪૦ દિવસ પછી પ્રસુતાની શુધ્ધિ થાય છે.

  • હવે ક્રમશ સંબંધોને અનુલક્ષીને અશૌચનો નિર્ણય કરીએ.

(૧) જો માતા-પિતા કે સૌતેલી માતા મરણ પામે તો : પુત્ર-પુત્રીને ૧૦ દિવસ, પરણેલી પુત્રીને ૩ દિવસ અશૌચ લાગે છે. જયારે પાલક પિતા કે દતક પુત્ર હોય તો ૩ દિવસ અશૌચ લાગે છે.

અતિક્રાંતા શૌચ : દતક પુત્ર અને કુંવારી કન્યાને સ્નાનથી શુધ્ધિ, પરણેલી દિકરીને દોઢ દિવસ, જયારે પુત્રને ૧૦ દિવસ અશૌચ રહે.

(૨) જો જનક કે પાલક સપિંડી મરણ પામે તો : પરગોત્ર દતકને ફક્ત એક દિવસનું અશૌચ

(૩) ગુરૂ : મંત્રનો ઉપદેશ દેનાર ગુરૂ ગામમાં હોય તો ત્રણ દિવસ અને પરગામે દોઢ દિવસ

(૪) યતિ-સતિ કે સન્યાસી : ફક્ત સ્નાનથી શુધ્ધિ સર્વ સપિંડોને

(૫) સમાનોદક : મૃત્યુ દિવસથી ત્રણ દિવસ શુધ્ધિ, જયારે સગોત્રનાં મૃત્યુનાં ફક્ત સ્નાનથી શુધ્ધિ

(૬) સપિંડ (કાકા-કાકી,દાદા-દાદી,પરદાદા-પરદાદી,વગેરે): સમાવર્તિત કે પરણિત પુત્રને ૧૦ દિવસ તેમજ જનોઈ દિધેલ કે જનોઈ દિધા વિનાના પુત્રને અને પરણેલ કે કુંવારી દિકરીઓને સ્નાન માત્રથી શુધ્ધિ જાણવી.

(૭) પતિ કે પત્નીને એકબીજા માટે : તિ કે પત્નીએ એકબીજા મરણ પામે તો પુરા ૧૦ દિવસનું અશૌચ, આમ સૌતન કે અતિક્રાંતાશૌચમાં પણ આમ જ સમજવું

(૮) પુત્ર-પૌત્ર-પ્રપૌત્ર-ભત્રીજો : જન્મ પછી અગિયાર કે બારમાં દિવસે મૃત્યુ થાય તો માતા-પિતા કે સૌતેલી માને ત્રણ દિવસ, સપિંડોને સ્નાનથી શુધ્ધિ, ૧૨માં દિવસથી ૬ મહિના સુધીનાનું મરણ થાય તો માતા-પિતા તથા સૌતેલી માને ત્રણ દિવસ અને સપિંડોને બાળે તો એક દિવસ અને દાટે તો સ્નાનથી શુધ્ધિ, સાતમાં મહિનાથી ત્રણ વર્ષ સુધી નાનું મરણ થાય તો મા-બાપ તથા સૌતેલી માને ત્રણ દિવસ અને સપિંડોને એક દિવસનું અશૌચ,ત્રણ વર્ષથી જનોઈ દિધેલ સુધીનાનું મૃત્યુ થાય તો માતા-પિતા, સૌતેલી માં અને સપિંડોને ત્રણ દિવસ અશૌચ, જનોઈ દિધા પછીનાનું મરણ થાય તો માતા-પિતા, સૌતેલી માં અને સ પિંડોને ૧૦ દિવસનું અશૌચ જયારે જનોઈ દિધા વિનાના તથા પરણેલ કે અપરણેલ કન્યાને સ્નાનથી શુધ્ધિકે પત્નીએ એકબીજા મરણ પામે તો પુરા ૧૦ દિવસનું અશૌચ, આમ સૌતન કે અતિક્રાંતાશૌચમાં પણ આમ જ સમજવું

(૯) પુત્ર-પૌત્રી-પ્રપૌત્રી-ભત્રીજી : ૧૦ દિવસ પછીથી ૬ મહિના સુધીની મરણ પામે તો માતા-પિતા અને સૌતેલી માતાને એક દિવસ અને સપિંડોને સ્નાન માત્ર, સાતમાં મહિનેથી ત્રણ વર્ષ સુધીની મરણ પામે તો માતા-પિતા અને સૌતેલી માતાને ત્રણ દિવસ તથા સપિંડોને સ્નાનમાત્ર, ૩ વર્ષથી લઈ વિવાહ સુધીના મરણ પામે તો માતા-પિતા અને સૌતેલી માંને ત્રણ દિવસ અને સપિંડોને ૧ દિવસનો અશૌચ. જયારે પરણેલ કે અપરણેલ કન્યાને અશૌચ લાગે નહિ, લગ્ન થઇ ગયેલી જો મરણ પામે તો માતા-પિતા અને સૌતેલી માતાને ત્રણ દિવસ તથા સપિંડોને એક દિવસ જેમાં અનુંપવીત,પરણેલી કે અપરણેલ કન્યાને અશૌચ લાગે નહી

(૧૦) ભાઈ (સગા-કાકાનાં) તથા તેની પત્નીઓ : જો ભાઈ મરણ પામે તો ક્રમાંક ૮ ની જેમ અશૌચ સમજવું, પરણેલી બહેનને જનોઈ દીધા વિનાનો ભાઈ હોય કે કુંવારી બહેનને અશૌચ લાગે નહિ, જો જનોઈ દિધેલ હોય અથવા પરણેલ ભાઈ હોય અને બેનનાં ઘરે મૃત્યુ થાય તો ત્રણ દિવસ અશૌચ, ઘર ફેર હોતા દોઢ દિવસ, અને ગામ ફેર હોતા એક દિવસ અશૌચ લાગે

(૧૧) બેન : પરણેલી બહેનના ભાઈને (સગો-સોતેલો કે કાકાનો) ભાઈનાં ઘરે મૃત્યુ થાય તો જનોઈ દિધેલ કે પરણેલ ભાઈને ત્રણ દિવસ, ઘર ફેર હોતા દોઢ દિવસ અને ગામ ફેર હોતા એક દિવસનું અશૌચ, પરણેલી બહેનનું પરણેલી બહેનને ઘરે મૃત્યુ થતા ત્રણ દિવસ અને ઘર ફેર હોતા દોઢ દિવસ અને ગામ ફેર હોતા એક દિવસનું અશૌચ, અપરણિત બહેનના ભાઈને ક્રમાંક ૯ મુજબ, જયારે કાકા-મોટા બાપાની કે કુંવારી બહેનને અશૌચ લાગે નહિ

(૧૨) માંના પિતા (નાના-માતામહ) : પરણેલ દોહિત્ર અને પરણેલ દોહિત્રીના માટે ૩ દિવસ અશૌચ, ગામ ફેર હોતા દોઢ દિવસ અશૌચ, કુંવારા દોહિત્ર કે દોહિત્રી માટે અશૌચ લાગે નહિ

(૧૩) માંની માતા (નાની-માતામહી) : પરણેલ દોહિત્ર કે દોહિત્રીને દોઢ દિવસ અને કુંવારાને અશૌચ લાગે નહિ

(૧૪) પુત્રીનો પુત્ર (દોહિત્ર): જનોઈ દિધેલ અથવા પરણેલ હોય તો નાના-નાનીને ૩ દિવસ અને જનોઈ દિધાવિનાનો હોય તો દોઢ દિવસનો અશૌચ,

(૧૫) પુત્રીની પુત્રી (દોહિત્રી) : નાના-નાનીને અશૌચ સ્પર્શે નહિ

(૧૬) સાસુ-સસરા (જમાઈને) : જમાઈનાં ઘરે અથવા સાથે મૃત્યુ થાય તો ૩ દિવસ, અન્યત્ર દોઢ દિવસ અને ગામ ફેર હોતા ૧ દિવસ પરંતુ પત્ની જીવીત ન હોય તો સાસુ-સસરાનું એક દિવસ અશૌચ પાળવું.

(૧૭) જમાઈ (સાસુ-સસરાનાં માટે) : સસરાનાં ઘરે અથવા પાસે મૃત્યુ થાય તો ત્રણ દિવસ, અન્યત્ર ફક્ત સ્નાનથી શુધ્ધિ,

(૧૮) સાળો-સાળી : જનોઈ દીધેલ કે પરણેલ હોય તો ૧ દિવસ, અન્ય સ્થિતિમાં તથા સાળીનું ફક્ત સ્નાનથી શુધ્ધિ

(૧૯) ફઇ : ભત્રીજો-ભત્રિજીને દોઢ દિવસનું, સ્વગ્રહી હોય તો ત્રણ દિવસ અને સોતેલી હોય તો સ્નાનમાત્ર અશૌચ.

(૨૦) માસી : સગી કે સોતેલી માસીનું ભાણેજ કે પરણેલી ભાણેજને દોઢ દિવસનું સ્વગૃહી હોય તો ત્રણ દિવસ અશૌચ

(૨૧) મામા-મામી : સમાવર્તિત કે પરણેલ ભાણેજ કે ભાણકીને દોઢ દિવસ સ્વગૃહી મરણ થાય તો ૩ દિવસ, ગામફેર હોતાં અથવા જનોઈ દીધા વિનાના મામા હોય તો એક દિવસ અશૌચ આવી રીતે સૌતેલા મામા-મામીનું સમજવું.

(૨૨) ભાણેજ-ભાણકી : જનોઈ દિધેલ કે પરણેલ હોય તો મામા અને માસીને ત્રણ દિવસ, ત્રણ વર્ષની ઉપર અને અપરણીત હોય તો દોઢ દિવસ, આમ જ સૌતેલા ભાણેજનું સમજવું, ભાણકીની બાબતમાં મામા અને માસીને સ્નાનમાત્રથી શુધ્ધિ (

૨૩) ફઇ-મામા-માસીનાં દિકરો કે દિકરી : જો સ્વગૃહી મૃત્યુ થાય તો ત્રણ દિવસ, અન્યત્ર દોઢ દિવસ, જનોઈ ન દીધેલ હોય તો એક દિવસ, બેનને ફક્ત સ્નાનથી શુધ્ધિ, ભાઈનું અશૌચ ગણવું. જયારે બેન પરણેલ હોય તો એક દિવસ અને કુંવારી હોય તો સ્નાન માત્રથી અશૌચ

(૨૪) દતક : પરગૌત્રમાં જન્મેલ દતક, જનક તથા પાલક માતા-પિતાને ત્રણ દિવસ, પૂર્વાપર સપિંડોને એક દિવસ અને દતકનાં પુત્ર /પૌત્રાદીકોનું અશૌચ હોય તો પૂર્વા પર સપિંડોને એક દિવસનું અશૌચ.

અશૌચમાં જાણવા યોગ્ય :

અતિક્રાંતા શૌચ : જેટલા દિવસ અશૌચ હોય, તેમના પછી મૃત વ્યક્તિનાં સમાચાર સાંભળવાથી લાગતું અશૌચ.

વૃધ્ધિશુતકની બાબતમાં કહેલા દિવસો વિત્યા પછી લાગતું નથી, માત્ર પિતાને દેશાંતર વિશે કાલાંતરમાં પણ સ્નાનથી શુધ્ધિ થવાય છે,

સંપાતા શૌચ : એક સૂતકમાં બીજા સૂતકનું પડવું : દસ દિવસનું મૃતાશૌચ ચાલતું હોય તેમાં બીજું દસ દિવસનું કે તેથી ઓછું મૃતાશૌચ આવી પડે તો તે પ્રથમનાં ચાલતા શૌચનાં બાકી રહેલા દિવસ સાથે ઊતરી જાય છે, આવી સ્થિતિમાં પ્રથમ મરણ પામેલી વ્યક્તિનું ક્રિયાકર્મ ૧૦-૧૧-૧૨ માં દિવસે કરવું, અને પછી મરણ પામેલી વ્યક્તિનું ક્રિયાકર્મ ૧૦-૧૧-૧૨ દિવસે કરવું. અહીં ફક્ત જે ક્રિયા કરે તેમને જ કર્મનું અશૌચ લાગશે.

૧૦ દિવસનાં સૂતકમાં તેનાથી ઓછા દિવસનું સૂતક કે પાતક આવી જાય તો પ્રથમનાં સૂતકની સાથે પછીનાની પણ સમાપ્તિ સમજવી. જો સૂતકમાં ૧૦ દિવસનું પાતક આવી જાય તો પાતકની સાથે અશૌચ સમાપ્ત થાય છે. ૧૦ દિવસના પાતકમાં ૧૦ કે તેનાથી ઓછા દિવસોનું સૂતક આવી ગયું હોય તો પાતકની સાથે સૂતક પણ સમાપ્ત થાય છે. ઓછા દિવસોનાં અશૌચમાં (સૂતક કે પાતક) વધારે દિવસોનું અશૌચ આવી જાય તો વધારે દિવસો જેટલા થતા હોય તે દિવસો પછી જ શુધ્ધ થવાય.

અશૌચનું કારણ જાણ્યા પછી ૩ અથવા ૧૦ દિવસનું અશૌચ જેને હશે તેને તે અશૌચ ૩ અથવા ૧૦ દિવસની અંદર જાણ્યા પછી બાકી રહેલા દિવસો પછી શુધ્ધિ જાણવી. જેમ કે ૧૦ દિવસનું જનના-શૌચ પ્રારંભ દિવસથી આઠમાં દિવસે ખબર પડે તો ત્યાંથી ૩ દિવસ પછી શુધ્ધિ જાણવી. એટલે કે ૧૧ માં દિવસે અશૌચ ઉતરી જાય. આવી જ રીતે મૃતાશૌચમાં જાણવું.

જયારે સપિંડ તેમજ ઔદર્વ દૈહિક કર્મ કરવા વાળાને સૂતક કે પાતક ૧૧ માં દિવસ પછી પૂર્ણ સંધ્યા, દેવપૂજા, પંચમહાયજ્ઞ વગેરે ધાર્મિક અધિકારો પ્રાપ્ત થઈ જાય છે.

ત્રિપાદ નક્ષત્ર : કૃતિકા,પુનર્વસુ,ઉતરાફાલ્ગુની,વિશાખા,ઉ.ષા. અને પૂ.ભા. આ છ સંપૂર્ણ નક્ષત્ર છે.

પંચક નક્ષત્ર : ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા,પૂ.ભા.,ઉ.ભા. અને રેવતી આમા કુલ સાડાચાર નક્ષત્ર.

જે નક્ષત્રાંતરીમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્રિપાદ અથવા પંચક પર અગ્નિદાહ કરવો પડે તો ફક્ત પૂતલ વિધાન કરવું શાંતિ નહિ.

જો ત્રિપાદ-પંચક નક્ષત્રમાં મૃત્યુ કે અગ્નિદાહ થાય તો તેવી સ્થિતિમાં મૃત થાય તો ફક્ત શાંતિ કરવી, અને અગ્નિદાહ થાય તો પૂતલ વિધાન કરવું. દા.ત. પંચકમાં મૃત્યુ થયું હોય અને અગ્નિ સંસ્કાર સમયે અશ્વિની નક્ષત્ર હોય તો ફક્ત શાંતિ કરવી. પૂતલવિધાન નહિ, આવી જ રીતે ત્રિપાદ નક્ષત્રમાં સમજવું.

અસ્થિસંચય : અગ્નિદાહનાં દિવસે અથવા ૨,૩,૪,૭ કે ૯ માં દિવસે કારી શકાય. જેમાં રવિ,મંગળ અને શનિવાર તથા ત્રિપાદ, દ્વિપાદ કે કર્તાનું જન્મ નક્ષત્ર છોડાય તો વધુ સારૂ.

અસ્થિ વિસર્જન : મૃત્યુદાહ કર્યાના ૧૦ દિવસ સુધીમાં વિના પંચાંગ શુધ્ધિએ વિસર્જન કરી શકાય. પરંતુ ૧૦ દિવસ પછી અસ્થિઓને શુધ્ધ કરી રાખવી જોઈએ. જેમાં અધિક માસ, ક્ષય માસ, ગુરૂ-શુક્રના લોપ-દર્શન વગેરે જોવા.

સંસર્ગાશૌચ : સપિંડ કે સોદક વિનાના સજાતીય શવને અડકવાથી થતું શૌચ એટલે સંસર્ગાશૌચ, જેમાં દિવસે અડે તો રાત્રે તારા દર્શન કરવાથી અને રાત્રે અડે તો સવારે સૂર્ય દર્શન કરવાથી શુધ્ધ થવાય છે.

error: Content is protected !!